આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભે નીકળેલી દાંડી યાત્રાનું ગરિમામય સમાપન

સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસબોધ નવી પેઢીને આપવાની જવાબદારી આપણા સૌની છે: ઉપરાષ્ટ્રપતિશ્રી વૈંકયા નાયડુ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરાવેલી દાંડીયાત્રાનું આજે ૬ એપ્રિલે દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીએ સમાપન કરાવ્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આરંભાયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રાના સમાપન સમારોહ વેળાએ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશના અનેક વીર સપૂતોએ આપેલા બલિદાનની ગાથાઓ નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે. સાબરમતી આશ્રમ ખાતેથી શરૂ થયેલી દાંડી યાત્રા માત્ર પદયાત્રા નહોતી. પણ, એ વખતે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે નવી જનચેતના જાગૃત કરવા માટેનું અભિયાન હતું.

ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું કે, દાંડી યાત્રામાં સમગ્ર ભારતભરમાંથી નાગરિકો તે વખતે જોડાયા હતા. આ ઉપરાંત, દેશના વિવિધ પ્રાંતમાં પણ નમકના કાયદાના સવિનય ભંગના કાર્યક્રમો યોજાયા હતા. તેમાં કસ્તુર બા, સરોજીની નાયડું, રમાદેવી, સરસ્વતી દેવી જેવી વિરાંગનાઓ પણ જોડાઇ હતી. રાષ્ટ્રભાવ અને સ્વતંત્રતાનો જુવાળ જાગ્યો હતો. અંગ્રેજો પાસેથી સ્વાધિનતા મેળવવા માટે નાગરિકોને આ દાંડી યાત્રાએ નવી દિશા આપી હતી. મહાત્મા ગાંધીજી પોતાની આ યાત્રા દરમિયાન વચ્ચે આવતા ગામોમાં થતી સભાઓમાં નાગરિકોને સ્વાધિનતા, સ્વચ્છતા, અસ્પૃશ્યતા અને સ્વદેશીની હિમાયતનો સંદેશ આપતા હતા. ગાંધીજી પાસેથી કટુભાવ ન રાખવાથી પણ શીખ લેવા જેવી છે.

મહાત્મા ગાંધીએ લોર્ડ ઇરવીનને લખેલા પત્રનું ઉદાહરણ આપતા ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું કે, તેમણે પત્રમાં લોર્ડ ઇરવીનને મિત્રનું સંબોધન કર્યું હતું. આ વાત રાજનીતિમાં આજે પણ એટલી જ પ્રસ્તુત છે. અત્યારે રાજકારણમાં એ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે રાજનેતાઓ વચ્ચે મતમતાંતર હોઇ શકે પણ તે ભારતીય છે જેથી રાજનેતાઓમાં દુશ્મનાવટ ના હોવી જોઇએ. લોકતંત્રમાં ભાષા અને શબ્દોની પસંદગી પણ ગરિમામય હોવી જોઇએ આ જ લોકશાહીના સાચા મૂલ્યો છે.

શ્રી વૈંકયા નાયડુએ એમ પણ કહયું કે, ગાંધીજીના સપનાના ભારતમાં માત્ર આઝાદી જ નહોતી. તેઓ એવું સ્પષ્ટ માનતા હતા કે, જ્યાં સુધી ગરીબોનો સર્વાંગી વિકાસ ના થાય ત્યાં સુધી સ્વતંત્રતા અપૂર્ણ છે. જેવા લાભો શ્રીમંતોને મળે છે, એવા લાભો ગરીબોને ના મળે ત્યાં સુધી આઝાદી અધુરી છે. આ ખાઇ દૂર કરવા માટે આત્મનિર્ભર બનવું પણ જરૂરી છે. આજે દેશ અને રાજ્યની સરકારો ગરીબોના કલ્યાણ માટે સારૂ કામ કરી રહી છે, તે આંનદની વાત છે. આઝાદી બાદ ભારતે વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ વિકાસ કર્યો છે. ગરીબોનું કલ્યાણ, માર્ગો, વીજળી, સંચાર વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, પ્રાદ્યોગિક બાબતોમાં ભારતે પ્રગતિ કરી છે. તેના માટે આપણે સૌ ગૌરવ લઇ શકીએ છીએ.

ખેડૂતો પણ સાચા કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ છે, એમ કહેતા ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતોના કલ્યાણ સંદર્ભે આજે નકારાત્મક પ્રચાર ચાલે છે. કોરોનાકાળમાં આ ખેડૂતોએ વિક્રમજનક ખેતઉત્પાદન કર્યું છે. આપણા દેશના વૈજ્ઞાનિકોએ બનાવેલી કોરોના વિરોધી રસી વિશ્વના બાવન દેશોને આપીને આપણે વસુંધૈવ કુટુમ્બકમની ભાવનાનો પરિચય આપ્યો છે.

ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ દેશને સ્વાધિનતા અપાવનારા સપૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. આ જનઆંદોલન બની ગયું છે. ઇતિહાસ આપણને જે શીખવે છે,  તે આપણી નવી પેઢીને શીખવવાની જવાબદારી આપણી છે. આ જ પેઢી ભારતનું ભવિષ્ય છે.

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ ગુજરાતના સાબરમતીથી પ્રારંભાયેલી દાંડી યાત્રા થી કરવા બદલ ભારત સરકારનો સૌ ગુજરાતીઓ વતી આભાર વ્યકત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દાંડી યાત્રાના સમાપન સમારોહ દરમિયાન દાંડી ખાતેથી ચપટી મીઠું ઉપાડીને બ્રિટીશ રાજના પાયા હચમચાવી નાખનારા પુ.બાપુને શબ્દાંજલિ અર્પી હતી.

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, ત્યારે ભારતની નવી પેઢીને  સ્વાધીનતા સંગ્રામના ઇતિહાસથી અવગત કરાવીને, નવા ભારતના નિર્માણ માટે દિશા ચિંધનારી આ દાંડીયાત્રાના માધ્યમથી ગુજરાત ફરી એકવાર રાષ્ટ્રપ્રેમના નિર્માણ માટે દેશનુ માર્ગદર્શક બનશે તેમ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ વધુમા જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ પુ.ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ગુજરાતના સપૂતોએ સ્વાધીનતા સંગ્રામમા આપેલા યોગદાન બાદ, ભારતના આ ભવ્ય ઈતિહાસને ફરીથી ઉજાગર કરનારા ગુજરાતના વધુ એક સપુત એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે આત્મનિર્ભર ભારત, મેઇક ઇન ઇન્ડિયા,  સ્વદેશી જેવા અભિયાનોને કારણે ભારતને વિશ્વ ગુરુ બનાવવાની દિશામા કાર્યારંભ થઇ રહયો છે, તેમ જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ દાંડી યાત્રાના ઐતિહાસિક દિવસે સૌને દેશ માટે જીવવા, અને દેશ માટે મરી ફીટવાની હૃદયસ્પર્શી અપીલ કરી હતી.કોરોના જેવી મહામારી વચ્ચે પણ પ્રજાકીય સુખ સુવિધા સાથે ચારે તરફ વિકાસ કરી રહેલા રાજ્ય અને દેશના સર્વાંગીણ વિકાસમા સૌને યોગદાન આપવાનો સંકલ્પ લેવાની હિમાયત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભારતને નેતૃત્વ પૂરૂ પાડવાની દિશામા આગળ વધી રહેલા ગુજરાતના પ્રયાસોમા સૌનો સહયોગ અત્યંત અનિવાર્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું..

કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે કહયું કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન સતત ૭૫ સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીને દેશના પ્રજાજનો વ્યાપક જનઆંદોલન બનાવે તે જરૂરી છે. તેમણે ભારતને અનેક હુતાત્માઓના બલીદાન બાદ મળેલી આઝાદીને મજબૂત બનાવવા યુવાનોને આહ્વાન કર્યું હતું.

આ દાંડીયાત્રાના સમાપન સમારોહમાં સહભાગી બનેલા સિક્કીમના મુખ્યમંત્રીશ્રી પ્રેમસિંહ તમાંગે જણાવ્યું કે, ગાંધીજીએ કહ્યું હતું કે, શક્તિ માત્ર શારીરિક બળથી નથી આવતી. સાચી શક્તિ પ્રબળ ઇચ્છશક્તિ અને મનોબળથી આવે છે. આજે આપણે સૌએ દેશની અંખડિતતા, સંપ્રભૂતા અને સ્વતંત્રતાને વધુ બળવત્તર બનાવવા માટે સૌએ પ્રતિબદ્ધ થવાનો આ અવસર છે. દાંડીયાત્રાએ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થવા માટે તે વખતે નાગરિકોમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. એ જ રીતે આ વખતની યાત્રા ભારતનું ગૌરવગાન કરવાની બની રહી છે.

ઉપરાષ્ટ્રપતિશ્રીએ દાંડી સ્થિત પ્રાર્થના મંદિર, સૈફી વીલાનું પ્રદર્શન, નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલની મુલાકાત લીધી હતી. તેઓ આ મેમોરિયલ નિહાળી પ્રભાવિત થયા હતા. તેમણે ઐતિહાસિક ક્ષણોને માણી હતી. દાંડીયાત્રાના પદયાત્રીઓ સાથે તેમણે સંવાદ સાધ્યો હતો. એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. તેમાં ગુજરાત ઉપરાંત, સિક્કીમ તથા છત્તીસગઢના કલાકારોએ પણ ભાગ લીધો હતો. મહાનુભાવોએ ગુજરાતની કલાને રજૂ કરતા અને જીઆઇ ટેગ મેળવનારી કલાનું પોસ્ટલ કવરનું વિમોચન કર્યુ હતું.

આ વેળાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, સાંસદ શ્રી સી. આર. પાટીલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી શ્રી સુદર્શન આયંગર, સાંસદસભ્યો, ધારાસભ્યો, જિલ્લા/તાલુકાપંચાયતના પદાધિકારીઓ તથા વરિષ્ઠ સનદી અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહયાં હતા.

Exit mobile version