સાબરમતી રીવરફ્રંટ ખાતેની ત્રિ-દિવસીય યોગ શિબિરના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતી

“ઇઝ ઓફ ડુઇંગ”ની સાથે રાજ્ય હવે “ઇઝ ઓફ લીવિંગ”માં પણ શ્રેષ્ઠત્તમ બની રહ્યું છે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

અમદાવાદ : રાજ્યમાં યોગમય વાતારવણ ઉભુ કરી મોટી સંખ્યામાં યોગ શિક્ષકો તૈયાર કરવા રાજ્યભરના વિવિધ સ્થળોએ નિ:શૂલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિતઆવી જ એક ત્રિ-દિવસીય યોગ શિબિરના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અવસરે યોગનો મહિમાં સમજાવતા કહ્યું કે, યોગ માનવશરીરના મન, બુધ્ધિ અને આત્માને આધ્યાત્મિક રીતે સહજ કરીને પરમાત્મા સાથે જોડે છે.આ આધ્યાત્મિક ધારણાને ચરિતાર્થ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ 21 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં “વિશ્વ યોગ દિવસ” તરીકે પ્રસ્થાપિત કરી ભારતને વિશ્વ ગૂરૂ બનવા તરફની રાહ ચિંધી છે એમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીની યોગ પ્રત્યેની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ”ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં વધુને વધુ યોગ ટ્રેનરો જોડાઇને વિવિધ યોગ શિબિરો દ્વારા રાજ્યમાં અબાલવૃધ્ધોને યોગસાધનાની પ્રેરણા આપી રહ્યાં છે. આ ટ્રેનીંગ રાજયના નાગરિકોને નિરોગી બનાવવા અસરકારક સાબિત થઇ રહી છે.

યોગ અને ધ્યાન એ યાત્રા હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યુ કે, યોગથી માણસ પોતાના આત્માની શુધ્ધિ કરશે અને ત્યારે જ રાષ્ટ્રને દિવ્ય રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પૂર્ણ થશે. ગુજરાત રાજ્ય યોગને અપનાવીને નાગરિકોને સ્વસ્થ અને નિરોગી બનાવી ઉત્તમથી સર્વોત્તમ ભણી આગળ વધી રહ્યુ છે.

રાજ્યનો દરેક નાગરિક સ્વસ્થ રહે અને ઇઝ ઓફ ડુઇંગની સાથે ઇઝ ઓફ લિવીંગ તરફ પણ આગળ વધે તે માટે આવી યોગ શિબિરો ખૂબ જ જરૂરી છે એવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી એ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સાબરમતી નદીના તટ પર મોટી સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકોને અભિનંદન પાઠવતા કહ્યું કે,આપ બધાએ એકજૂથ બની યોગ દ્વારા રાષ્ટ્રને તંદુરસ્તી સાથે સલામતીનો સંદેશ પાઠવ્યો છે.

તેઓએ ઉમેર્યુ કે , કોરાના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા “યોગ કરીશું અને કોરોનાને હરાવીશુ” ના સૂત્રને સ્વીકારીને કોરોના સામેની લડતમાં સફળતા હાંસલ કરી છે. ગુજરાત રાજ્યને યોગ દ્વારા માનસિક રીતે સશક્ત બનાવવાની સાથે તમામ નાગરિકો નિરોગી રહે અને નવભારતના નિર્માણમાં સહભાગી બને તે માટે યોગને અપનાવવું ખૂબ જ જરૂરી છે.

રાજ્યકક્ષાના રમત-ગમત મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રી દ્વારા 21 મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની કરેલી પહેલને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા આગળ ધપાવવા રાજ્યભરમાં યોગ સંલ્ગન વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ યોગટ્રેનરો તૈયાર કરીને યોગસાધકો સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

રાજ્ય યોગ બોર્ડ દ્વારા અત્યારસુધીમાં 750 યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 1 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને વધુને વધુ લોકોને યોગ વિશે જાગૃત કરવાનો કૃતસંક્લપ છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ યોગ વર્ગ ચલાવીને મોટી સંખ્યામાં યોગસાધકોને યોગ સાથે જોડ્યા હોવાનું મંત્રી શ્રી એ કહ્યું હતુ.

ત્રિ-દિવસીય યોગ શિબિરના સમાપન સમારોહમાં રાજ્યભરના યોગટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતુ. અતિ થી ઇતિ સમાવિષ્ટ યોગ સંલ્ગન બાબતો ધરાવતા બે પુસ્તકોનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે અમદાવાદ શહેરના ધારાસભ્ય સર્વે શ્રી જગદિશભાઇ પંચાલ અને રાકેશ શાહ, અમદાવાદ શહેરના નવનિયુક્ત મેયર શ્રી કિરીટભાઇ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, મહામંડલેશ્વર ધર્માચાર્ય શ્રી અખિલેશદાશજી મહારાજ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજી સહિત મોટી સંખ્યામાં યોગસાધકોએ ઉપસ્થિત રહીને સાબરમતીના તટને યોગમય કરી સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો હતો.

Exit mobile version