૧૫ વર્ષથી ડાયાબિટીસથી પીડિત ઈકબાલ કડીવાલાને નવી સિવિલના તબીબોએ કોરોનામુક્ત કર્યા

દરેક દર્દી પોતાના માટે VIP દર્દી છે એમ સમજીને સિવિલના તબીબો અને નર્સિંગ સ્ટાફ સેવા આપે છે : ગુજરાત નર્સિંગ અસોસિએશનના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા

કોરોના મહામારીના કારણે વીતેલું એક વર્ષ માત્ર ભારત જ નહીં,પરંતુ સમગ્ર જગત માટે અત્યંત કપરું રહ્યું. અનેક કોરોના યોદ્ધાઓએ તહેવારોમાં પણ પરિવારથી દૂર રહીને સેવા કરી, જેમાંના એક કોરોના વોરિયર સિવિલ હોસ્પિટલના દર્દીઓને પરિવાર માનીને ગુજરાત નર્સિંગ અસોસિએશનના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા સેવા આપે છે. સફાઈ કર્મચારીઓ, સિક્યોરિટી ગાર્ડ, નર્સિંગ સ્ટાફ સહિતના સ્ટાફને મુશ્કેલીમાં કે અન્ય કોઈ પણ પ્રકારની જરૂરિયાતના સમયે વ્હારે આવી સેવાધર્મ નિભાવે છે. શ્રી ઈકબાલભાઈ પણ ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયાં હતાં, ૧૫ વર્ષથી ડાયાબિટીસથી પીડિત હોવા છતાં ૦૭ દિવસમાં નવી સિવિલના તબીબોએ તેમને કોરોનામુક્ત કર્યા છે.

શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી અણધારી આવી પડેલી કોરોનાની આપત્તિમાં લોકોની સેવા દરમિયાન તા.૧૦ જાન્યુઆરીએ સખત તાવ, ખાંસી આવતાની સાથે કોરોનાના લક્ષણો જણાતા કોવિડ રિપોર્ટ કરાવ્યો. જે પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના ડો. અશ્વિન વસાવાને જાણ કરી કોવિડ વોર્ડમાં દાખલ થઈ સારવાર શરૂ કરી.

કડીવાલાએ વધુમાં જણાવ્યું કે ઘણા વર્ષોથી ડાયાબિટીસની સારવાર ચાલું હોવાથી એચઆરસિટી, સુગર સહિત લોહીના રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટ તો નોર્મલ આવ્યા પણ શરૂઆતમાં તાવ અને ખાંસીમાં કોઈ સુધારો ન જણાયો. સિવિલ હોસ્પિટલના અનુભવી રેસિડન્ટ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફના સફળ ઉપચારથી તબિયતમાં સુધાર આવ્યો. મારા સંપૂર્ણ જીવન કાળનો આ પહેલો અનુભવ છે કે જે મેં સાંભળ્યું હતું તે જ પ્રમાણે મને સિવિલમાં ઉમદા સારવાર મળી છે. ડો.અશ્વિન વસાવા, ડો. વિવેક ગર્ગ, ડો.પારૂલ વડગામાં સહિત રેસિડન્ટ ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફના સતત મોનિટરીંગથી સિવિલ હોસ્પિટલમાંથી ગંભીર બિમારીથી પિડીત દર્દીઓ પણ સાજા થઈને પોતાના સ્વગૃહે પરત ફરે છે.

નવી સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ અહીંના દર્દીઓને સારવારની સાથે તેમનું માનસિક મનોબળ જળવાઈ રહે તે પ્રકારે આપ્તજન હોય એ રીતે જ ઉમદા સારવાર આપવામાં આવે છે. દરેક દર્દીને VIP દર્દીની માફક સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સેવા કરીને પોતાની નૈતિક ફરજ અદા કરે છે એમ શ્રી કડીવાલા જણાવે છે.

મોંઘા ઇન્જેક્શન અને સમયસર પૌષ્ટિક જમવાનું, ચા, નાસ્તાથી લઈને મિનરલ પાણીની સાથે બેડની આજુબાજુમાં સફાઈ તેમજ વાંચન રસિયાઓ માટે જુદી-જુદી ભાષામાં બુકની સુવિધાથી દર્દીને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેવો અનુભવ થાય છે એમ તેઓ ઉમેરે છે.

ડો. અશ્વિન વસાવાએ જણાવ્યું હતું કે, ઈકબાલ કડીવાલા મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. તેમના સહયોગથી અનેક વિદ્યાર્થીઓ આજે નર્સિંગ સેવામાં સામેલ થયાં છે. ઈકબાલભાઈને ડાયાબિટીસની સારવાર પણ આપી છે, સાથે કોવિડની સારવારમાં એન્ટિબાયોટિક, રેમડેસિવિર ઇન્જેક્શન અપાયું હતું. ૦૭ દિવસની સારવાર બાદ રિપોર્ટ નોર્મલ આવતા ઈકબાલભાઈ તા.૧૭ જાન્યુઆરીએ ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે પરત ફર્યા, તેનો સિવિલ તબીબો સહિત નર્સિંગ સ્ટાફને ઘણો આનંદ છે.

આમ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી-આરોગ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની રાહબરી હેઠળ સુરત આરોગ્ય તંત્ર દ્વારા હજારો કોરોના દર્દીઓને સ્વસ્થ કરવામાં સફળતા મળી છે, સેવારત અનેક કોરોનાયોદ્ધાઓ પણ કોરોના થવાં છતાં સ્વસ્થ થઈને ફરજ પર જોડાયેલા છે.

Exit mobile version