SGCCI દ્વારા ‘સુરતને સિંગાપોર બનાવવાનું કેવી રીતે શકય થશે?’ તે વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘સુરતને સિંગાપોર બનાવવાનું કેવી રીતે શકય થશે?’ તે વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓસ્ટ્રીયન ઇકોનોમિસ્ટ, સોશિયલ સાયન્ટીસ્ટ, એજ્યુકેશનિસ્ટ અને હેલ્થ એન્થુઝીયાસ્ટ ડો. મધુસુદન રાજે યુવાઓને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ડો. મધુસુદન રાજે જણાવ્યું હતું કે, સુરતમાં ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો વિકાસ સૌથી ઝડપી રીતે થયો છે ત્યારે બિઝનેસની દૃષ્ટીએ સુરત ગ્રો કરી રહયું છે. પરંતુ વેપારની દૃષ્ટીએ સુરતે ભૌગોલિક બહારના દેશો સાથે પણ વેપાર વધારવો પડશે. વિશ્વમાં ચાલતી હરીફાઇને પહોંચી વળવા પ્રયાસ કરવો પડશે. દેશમાં ર૦ કરોડ જેટલા યુવાઓ છે પણ કમનસીબે તેમની પાસે જે તે ક્ષેત્રમાં આગળ વધવા માટે સ્કીલનો અભાવ છે. યુવાઓએ પોતાની રૂચી પ્રમાણે સંબંધિત ક્ષેત્રમાં ઝંપલાવવા સ્કીલ શીખવી પડશે. ઉદ્યોગ અગ્રણીઓએ પણ ટ્રેડ સ્કૂલ અને કોલેજીસ શરૂ કરવા આગળ આવવું પડશે. જેથી કરીને વિદ્યાર્થીઓને ટ્રેડ બેઇઝ પ્રેકટીકલ નોલેજ મળી શકે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વ્યકિતગત રીતે પણ લોકોને સુરતને સિંગાપોર એટલે કે બધી જ ભૌતિક સુખ સુવિધા તથા ડેવલપમેન્ટ તરફ આગળ વધવા પ્રયાસ કરવો પડશે. વ્યકિતગત રીતે લોકો વિકસશે તો સમાજ ઉભો થઇ શકશે. કોઇ આપણને બચાવવા આવશે એવો વિચાર જ મનમાંથી કાઢી નાંખવો પડશે. બીજાના ભરોસે નહીં પણ પોતાનું નસીબ જાતે જ બનાવવું પડશે. બધાને સ્વયં આત્મનિર્ભર બનવું પડશે. ઇન્ડિયાનું આઇકયુ લેવલ ઓછું છે અને તેને ઇમ્પ્રુવ કરવા માટે હેલ્થ ઉપર પણ વ્યકિતગત રીતે લોકોએ ખાસ કરીને યુવાઓએ ધ્યાન આપવું પડશે.

ડો. રાજે વધુમાં કહયું કે, સુરત માટે અથવા દેશ માટે જ્યારે કશું ખોટું થતું હોય તો એની સામે બોલવાની હિંમત કેળવવી પડશે. આવી સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય દિશાએ રજૂઆત કરવી પડશે. સુરતને કલ્ચરલી પણ બદલાવ લાવવો પડશે. એના માટે સમાજને મૂલ્યો બદલવા પડશે અને નૈતિક મૂલ્યોની જાળવણી કરવી પડશે. સમાજે સાયન્ટીફિક એટીટયુટને અપનાવવાની જરૂર છે. આ બધી બાબતો થશે તો વિકાસ કરી શકીશું અને આજે નહીં તો વર્ષો પછી સુરતને સંભવત સિંગાપોર બનાવવાની દિશાએ આગળ વધી શકીશું.

ઇન્ટરેકટીવ સેશનમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની લેબર લો કમિટીના ચેરમેન સોહેલ સવાણીએ સેશનનું સંચાલન કર્યું હતું.

Exit mobile version