દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ ધંધાને નડતરરૂપ જીએસટી સંબંધિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીના નેતૃત્વ હેઠળ ઉદ્યોગકારોના એક પ્રતિનિધી મંડળે સીજીએસટીના પ્રિન્સીપલ ચીફ કમિશનર અશોકકુમાર મહેતા સાથે મિટીંગ કરી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ ધંધાને નડતરરૂપ જીએસટી સંબંધિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી.

મિટીંગમાં સૌપ્રથમ જીએસટીમાં ફ્રોડ કરનારાઓને શોધવા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જીએસટીમાં ફ્રોડ કરનારાઓને શોધવા ચેમ્બર તથા સીજીએસટી વિભાગ દ્વારા સંયુકતપણે એક વર્કીંગ ગૃપ બનાવવામાં આવશે. જીએસટીમાં ફ્રોડ કરનારાઓ વિશે ચેમ્બરને ખબર પડશે તો તે વિભાગને જાણ કરશે તેમજ જીએસટીમાં ફ્રોડ કરનારાઓને શોધવા માટે વિભાગને ચેમ્બર મદદરૂપ પણ ઠરશે તેમ નકકી થયું હતું.

ઇપીસીજી લાયસન્સ હેઠળ એકસપોર્ટ કરતા ટેકસટાઇલ એકમો જેમાં ખાસ કરીને સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન તરફથી ઘણા લાંબા સમયથી એમ્નેસ્ટી સ્કીમની ડિમાન્ડ હોઇ તે અંગે પ્રિન્સીપલ ચીફ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ચેમ્બર અને સીજીએસટી વિભાગ સંયુકતપણે અભ્યાસ કરશે અને ત્યારબાદ સીજીએસટી વિભાગ તરફથી નાણાં મંત્રાલયને ભલામણ મોકલવામાં આવશે તેમ પ્રિન્સીપલ ચીફ કમિશનર દ્વારા ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું હતું.

એપ્રિલ, ર૦ર૧થી ઇ–ઇન્વોઇસની સિસ્ટમ લાગુ થવા જઇ રહી છે ત્યારે ઉદ્યોગકારો આ સિસ્ટમથી અવગત થાય તેના માટે ચેમ્બર દ્વારા સીજીએસટી વિભાગને અવેરનેસ સેશનનું આયોજન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રિન્સીપલ ચીફ કમિશનરે આ અંગે અવેરનસે સેશન યોજવા માટેની તેમજ તેમાં પોતે પણ હાજર રહેશે તેવી બાંયધરી આપી છે.

હાલમાં નાણાં મંત્રાલય દ્વારા જીએસટી રેટમાં જે ચાર સ્લેબ છે તેને ત્રણ કરવાની વિચારણા ચાલી રહી છે તે અંગે આશિષ ગુજરાતીએ એવી રજૂઆત કરી હતી કે, એમએમએફ ટેકસટાઇલ ક્ષેત્રે હાલમાં જીએસટીનું ટેકસ માળખું જે છે તે ઘણી જહેમત બાદ સર્વ સ્વીકાર્ય બન્યું છે. હવે જો તેમાં ફેરફાર કરાશે તો ટેકસટાઇલ ક્ષેત્રને નુકસાન થવાની સંભાવના છે. હાલમાં એમએમએફ ફેબ્રિક ઉપર પ ટકા જીએસટીની જોગવાઇ છે. એના કારણે જ ટેકસટાઇલના વિવિંગ સેકટરમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ થયું છે. વિવિંગ સેકટર એ ટેકસટાઇલ ક્ષેત્રમાં સૌથી મોટું રોજગાર આપતું સેકટર હોવાથી એને લગતા ટેકસ માળખામાં જો બદલાવ કરાશે તો તેની સીધી અસર રોકાણ અને રોજગાર ઉપર પડશે. આથી એમાં કોઇપણ જાતના બદલાવ નહીં કરવા તેમણે પ્રિન્સીપલ ચીફ કમિશનરને રજૂઆત કરી હતી.

ઇન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર ધરાવતા વેપારીઓ દ્વારા રીફંડ મેળવવાની અરજી કરવામાં આવે છે ત્યારે વિભાગ દ્વારા લેટ ઇન્ટરેસ્ટ ફીની માંગણી કરવામાં આવે છે. જે સીજીએસટી એકટ ર૦૧૭ની કલમ પ૪ (૩) મુજબ કાયદાકીય ન હોવાથી તેમજ ગેરવ્યાજબી માંગણી હોઇ જે કોઇપણ વેપારીઓને મળવાપાત્ર રીફંડ હોય તે રીલીઝ કરવા માટે વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.

ડયુટી ડ્રો બેક લેનાર એકસપોર્ટરોને આઇટીસી રીફંડ મળતું નથી આવા કિસ્સામાં પણ રીફંડ તાત્કાલિક ધોરણે રિલીઝ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા VKC ફૂટવેરના કેસમાં સર્વિસિસ ઇનપુટ ઉપર લાગતા જીએસટીમાં ઇનપુટ ટેકસ ક્રેડીટ મળવાની જોગવાઇપાત્ર થતી હોય તેવી જોગવાઇ કાયદામાં છે તેવો હુકમ કરવામાં આવ્યો હતો અને આજદિન સુધી આ હુકમ ઉપર કોઇપણ કોમ્પીટન્ટ ઓથોરિટી દ્વારા સ્ટે ઓર્ડર આવ્યો નથી. હાલમાં જે સર્વિસિસ ઇનપુટ ઉપર જે ઇનપુટ મળતું નથી તે મળવું જોઇએ તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

જીએસટી કાયદા હેઠળ કોઇપણ વેપારીની ક્ષતિ પકડવામાં આવે છે ત્યારે આવા કેસમાં રાજ્ય જીએસટી અધિકારી અને કેન્દ્રીય જીએસટી અધિકારી એમ બે અધિકારીઓ દ્વારા જુદી–જુદી તપાસ કરવામાં આવે છે. જ્યારે જીએસટી કાયદો સેન્ટ્રલ એકટ હોવાથી તેમાં કોઇપણ એક જ ઓથોરિટી દ્વારા તેની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

ચેમ્બરની આગેવાનીમાં ઉદ્યોગકારો દ્વારા સીજીએસટીના પ્રિન્સીપલ ચીફ કમિશનર અશોકકુમાર મહેતાને કરવામાં આવેલી રજૂઆતો અંગે વિભાગ તરફથી હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું અને તમામ પ્રશ્નો વિશે વિભાગ દ્વારા ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલા લેવાશે તેમ જણાવવામાં આવ્યું હતું.

તદુપરાંત ચેમ્બર વતી કોવિડ– ૧૯ દરમ્યાન વિભાગ દ્વારા ઘણા મોટા પ્રમાણમાં જીએસટી રીફંડ ઉદ્યોગકારોને આપવામાં આવ્યું છે તે બદલ વિભાગ તથા નાણાં મંત્રાલયનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

Exit mobile version