સુરતના ગ્રીનમેનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે સન્માન

સુરત (ગુજરાત): ઉમરગામ તાલુકાના કલગામ ખાતે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આયોજિત 72માં વન મહોત્સવમાં સુરતના પર્યાવરણવાદી ગ્રીનમેન વિરલ દેસાઈનું પર્યાવરણ જાળવણી માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હાથે વિશેષ સન્માન કરાયું હતું.

વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી વૃક્ષારોપણના નક્કર કાર્યો કરી રહ્યા છે  અને અત્યાર સુધીમાં તેમણે દોઢ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે તો એકલપંડે ઉધના રેલવે સ્ટેશનને દુનિયાનું ગ્રીન રેલવે સ્ટેશન તરીકે વિકસાવ્યું છે.

મુખ્યમંત્રી દ્રારા જ્યારે તેમના કામની કદર થઈ ત્યારે વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટને વરેલી ગુજરાત સરકાર દ્વારા અમારા કામની કદર થઈ એનો આનંદ હોય જ. ગ્રીન ઉધના સ્ટેશન એ માત્ર ગુજરાતની જ નહીં, પરંતુ દેશની શાન છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ગર્વપૂર્વક પર્યાવરણનું પ્રમોશન કરે છે. વન વિભાગે એને ધ્યાનમાં લઈ અમને સન્માનિત કર્યા એ અમારી વિશેષ સ્વીકૃતિ છે.’

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના 72માં વન મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપરાંત વનમંત્રી ગણપત વસાવા, રાજ્ય મંત્રી રમણ પાટકર તેમજ વલસાડ જિલ્લાના ધરાસભ્યો હાજર રહ્યા હતા.

Exit mobile version