SGCCI દ્વારા ‘વિઝનરી લીડર્સ ર૦૩૦’ વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘વિઝનરી લીડર્સ ર૦૩૦’ વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોચિંગ એન્ડ મેન્ટરીંગ હેડ ચેતન પટેલ અને કોર્પોરેટ ફાયનાન્શીયલ એડવાઇઝર ડો. રાકેશ દોશીએ વેપાર, વ્યવસાય અને આઇટી ક્ષેત્રમાં લીડર્સ કેવી રીતે બની શકાય? તે અંગે સ્ટાર્ટઅપ્સ અને આઇટી પ્રોફેશનલ્સને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેતન પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં બિઝનેસમેન ઘણા છે પણ વિઝનરી લીડર્સ નથી. એના માટે સુરતમાં વિઝન ઘટે છે. વિઝન વગર કંપની સર્વાઇવ કરી જ નહીં શકે તેવું મારું સ્ટ્રોન્ગલી માનવું છે. જે કંપનીમાં કર્મચારીનો ગ્રોથ થશે તે જ કંપનીનું વિઝન સારુ અને યોગ્ય હશે. વર્ષ ર૦૩૦ માટે વિઝન બનાવવું હોય તો તેના માટે તમારે તમારી કોર વેલ્યુ બનાવવી પડશે. અત્યારથી જ તમારી જાત ઉપર પ્રોસેસ કરવી પડશે. તમે જેવા હોવ અથવા હશો તેવી જ તમારી કંપનીનું અને તમારું ભવિષ્ય બનશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બદલાવ ‘I’થી લાવવાનો રહેશે અને ભાવના ‘We’ની રાખવી પડશે. પોતાની સ્કીલથી દુનિયાને સારું આપવાનું રહેશે. સતત અને સાતત્ય જ્યાં હશે ત્યાં જ બધું શકય થશે. પુસ્તક વાંચો, જ્યાં સુધી પુસ્તક નહીં વાંચો ત્યાં સુધી જીવનમાં બદલાવ લાવી શકાશે નહીં. જો તમે ગોલને પ્રાપ્ત કરવા કામ નહીં કરતા હશો તો તમે ખોટી દિશાએ જઇ રહયા છો એવું સમજવું. તમારા હેબીટમાં ટ્રાન્સમીશન લાવવું પડશે. કાલે શું બનવું છે? તેના પર ફોકસ કરો.

ચેતન પટેલે કહયું કે, વર્ષ ર૦૩૦માં સુરતને આઇટી હબ બનાવવું હશે તો એના માટે અત્યારથી જ પ્રયાસ કરવા પડશે. એસોસીએશન બનાવવું પડશે, સેમિનાર કરવા પડશે અને કર્મચારીઓને ટ્રેઇન કરવા પડશે. એના માટે ફાયનાન્શીયલ નોલેજ હોવું જોઇએ અને નેટવર્કીંગ ઉભું કરવું પડશે. ઘણા બધા કેમ્પસ બનાવવા પડશે, જેમાં એક લાખ કર્મચારી હશે અને તેઓને ટ્રેનીંગ પણ આપવી પડશે. ટેકનીકલ નિષ્ણાંતોને લાવવા પડશે તથા કંપનીમાં સીઇઓ અને કર્મચારીઓને કામ કરવાની મેન્ટાલિટી બદલવી પડશે. કર્મચારીઓને સારી ચેલેન્જ આપવી પડશે અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે. થિન્કીંગ, એકટીંગ અને કોમ્યુનિકેશન સારી થશે તો જ મીશન સુધી પહોંચી શકાશે.

ડો. રાકેશ દોશીએ જણાવ્યું હતું કે, એક વૈશ્વિક નાણાંકીય સંસ્થાના રિપોર્ટ મુજબ ભારત ડિજીટલ આઉટ સોર્સિંગના ત્રીજા વેવ ઉપર આવીને ઉભું છે. આ ત્રીજા વેવને કારણે આઇટી પ્રોફેશનલ્સ માટે ડિજીટલ સ્કેલ ઉપર સુંદર તક ઉભી છે. કંપનીને કેવી રીતે સારી બનાવાય? તેના માટે પ્રયાસ કરવામાં આવે તો બધું શકય થઇ શકે છે. કંપની સારી બનશે તો રોકાણકારો પણ કંપનીમાં રોકાણ કરતા જઇ થશે. તેમણે કહયું કે, સુરતને સિલીકોન વેલી બનાવી શકાય છે. એના માટે ડિજીટલી અને ફાયનાન્શીયલ સ્કીલની જરૂરિયાત છે.

સરળ ભાષામાં સમજણ આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં બધાની સંપત્તિ ભેગી કરીને દરેક નાગરિકમાં સમાન વહેંચી દેવામાં આવે તો પણ દસ વર્ષ પછી લોકોની સંપત્તિમાં જુદો–જુદો વધારો કે ઘટાડો દેખાશે. એની પાછળનું કારણ નાણાંકીય સમજ છે. મોટા બિઝનેસમેનોની નાણાંકીય સમજ, પૈસા કયાંથી લાવવાના? અને ઇકવીટીમાં કોણે પાર્ટનર બનાવવા? તેની સમજ સારી છે. આથી બિઝનેસને ડેવલપ કરવા માટે તેમણે આઇટી પ્રોફેશનલ્સને ફાયનાન્શીયલ અવેરનેસ વિશે મહત્વની સમજણ આપી હતી.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન બશીર મન્સુરીએ વકતા ચેતન પટેલનો અને આઇટી હબ કમિટીના ચેરમેન ગણપત ધામેલીયાએ વકતા ડો. રાકેશ દોશીનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. ચેમ્બરની આઇટી હબ કમિટીના કો–ચેરમેન પુનીત ગજેરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને અંતે સર્વેનો આભાર માની સેશનનું સમાપન પણ કર્યું હતું.

Exit mobile version