SGCCI અને આઇ હબના સંયુકત ઉપક્રમે ‘ઇનોવેશન હેકાથોન ફોર સ્ટાર્ટઅપ્સ’ વિષય ઉપર સેમિનાર યોજાયો

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આઇ હબના સંયુકત ઉપક્રમે ‘ઇનોવેશન હેકાથોન ફોર સ્ટાર્ટઅપ્સ’ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. જેમાં ડિઝાઇન થિન્કીંગ માટેની આર્થ યુનિવર્સલ સ્કૂલના દુર્ગેશ દુબેએ ‘ડિઝાઇન થિન્કીંગ’ અને હરેશ કલકત્તાવાલાએ ‘એમ્પથી બિલ્ડીંગ’ વિશે વિસ્તૃત ચર્ચા કરી ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ પાસે પ્રોબ્લેમ ફાઇન્ડીંગ વિશે એકસરસાઇઝ કરાવવામાં આવી હતી.

દુર્ગેશ દુબેએ ઉદ્યોગ સાહસિકોને વર્તમાન પરિસ્થિતિમાં ખરાબમાં ખરાબ શકયતા અને તેની સામે દેખાતી નવી તકો વિશે વિચારવા જણાવ્યું હતું. એના માટે તેમણે ચાલુ સેશનમાં વિદ્યાર્થીઓને તેમના મનમાં આવતા આઇડીયા શેર કરવા જણાવ્યું હતું અને કેટલાક વિદ્યાર્થીઓએ જુદા–જુદા આઇડીયા શેર પણ કર્યા હતા. તેમણે કહયું હતું કે, સારા આઇડીયા આવવા માટે વિદ્યાર્થીઓએ સારા ઓબ્ઝર્વર અને સારા શ્રોતા બનવું પડશે. પરિસ્થિતિને અનુરૂપ જો પાંચ આઇડીયા મનમાં આવે તો બની શકે કે પાંચમાંથી કોઇ એક અથવા બે આઇડીયા યોગ્ય માળખામાં બેસી જાય તો સ્ટાર્ટઅપ શરૂ કરી શકાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય જનતાને સતાવતી મુશ્કેલીઓનું નિવારણ સ્ટાર્ટઅપ્સ માટે સારો આઇડીયા બની શકે છે. સ્ટાર્ટઅપ્સ માટે ઉદ્યોગ સાહસિકોને ગૃપની અંદર વિવિધ આઇડીયા માટે ચર્ચા કરવાની સલાહ પણ તેમણે આપી હતી. તેમણે ડિઝાઇન થિન્કીંગના સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી.

હરેશ કલકત્તાવાલાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ વર્ષમાં ૧૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ ઉભા કરવા હશે તો ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓનું માઇન્ડ સેટ બદલવું પડશે. લોકો સમસ્યાઓની જડ સુધી પહોંચવાને બદલે સંસ્થા અથવા સરકાર ઉપર દોષારોપણ કરતા હોય છે. આથી ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ પાસે પ્રોબ્લેમ્સ ફાઇન્ડીંગને લઇને એકસરસાઇઝ કરાવવામાં આવી હતી. તેઓને હયુમન, સોસાયટી કે ઇન્ડસ્ટ્રી સંબંધિત વર્લ્ડ વાઇડ રીયલ પ્રોબ્લેમ્સ શોધવા માટે જણાવ્યું હતું. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રી સંબંધિત રીયલ પ્રોબ્લેમ્સ શોધવા માટે વિદ્યાર્થીઓ પાસે એકસરસાઇઝ કરાવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવા સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માંગતા ઉદ્યોગ સાહસિકો જ્યારે રીયલ પ્રોબ્લેમ શોધી શકશે ત્યારે જ તેઓ તેના ઉપર રિસર્ચ કરી સમસ્યાના નિરાકરણ સુધી પહોંચી શકશે. આવું શકય થશે ત્યારે જ ઇનોવેશન કરી શકાશે. ત્રણ દિવસના કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ પાસે પ્રોબ્લેમ ફાઇન્ડીંગ, રિસર્ચ અને તેના નિરાકરણ સુધી પહોંચવાની એકસરસાઇઝ કરાવવામાં આવશે. કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ પાસે સારા આઇડીયા હોય છે પણ તેને કેવી રીતે યુટીલાઇઝ કરી શકાય? તેની જાણકારી હોતી નથી. આથી સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માંગતા વિદ્યાર્થીઓને કેપીટલાઇઝ અને મેન્ટોર કરવા સુધીના દરેક પાસા ઉપર ગાઇડન્સ આપવામાં આવશે. સાથે જ ચેમ્બર તેઓને કઇ રીતનું પ્લેટફોર્મ પૂરું પાડી શકે તે માટે પણ પ્રયાસ કરાશે.

આ સેમિનારમાં ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ ચેમ્બરની પ્રવૃત્તિઓની ટૂંકમાં માહિતી આપી હતી. જ્યારે માનદ્‌ ખજાનચી મનિષ કાપડીયા અને ગૃપ ચેરમેન પરેશ લાઠીયાએ પ્રાસંગિક વિધી કરી હતી. અંતે આઇ હબના તૃષ્ણા યાજ્ઞિકે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Exit mobile version