યુનિવર્સલ ફાઉન્ડેશને આજ સુધી ૧૭,૦૦૦ થી વધુ લોકોને વિનામુલ્યે રસીકરણ કર્યું
૫૦,૦૦૦થી વધુ લોકોને રસીકરણ કરવાનો સંસ્થાનો ઉમદા સંકલ્પ
![The Universal Foundation has so far vaccinated more than 17,000 people free of charge](https://gujarati.rdtimes.in/wp-content/uploads/2021/04/WhatsApp-Image-2021-04-20-at-9.47.34-AM.jpeg)
સુરત: કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ અને માસ્ક અસરકારક શસ્ત્રો છે. સુરતવાસીઓ કોરોનાથી સુરક્ષિત રહે એ માટે હાલ ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકોનું રસીકરણ કરવાની ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવી છે. જેમાં અનેક અગ્રણી સામાજિક સંસ્થાઓ પણ ખભેખભો મિલાવીને વેક્સિનેશનની સેવા માટે યોગદાન આપી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને વિવિધ સમાજ અને સોસાયટીઓના પ્રમુખોના સહયોગથી યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા મોટા વરાછા, નાના વરાછા, પુણા, વેડરોડ સહિતના હેલ્થ સેન્ટરો પર આજ સુધી ૧૭,૦૦૦ થી વધુ લોકોને વિનામુલ્યે રસી મૂકવામાં આવી છે.
આ સંસ્થાના અધ્યક્ષ તથા દેશની ચોથી રક્ષા પાંખ સિવિલ ડિફેન્સ-અમરોલી ઝોનના માનદ્ સૈનિક પ્રકાશકુમાર વેકરિયાએ ૫૦,૦૦૦થી વધુ લોકોને વિનામુલ્યે કોરોના રસીકરણ કરવાના સંકલ્પ લીધો છે, જેને પૂર્ણ કરવા માટે સંસ્થાના સેવાભાવી સભ્યો દ્વારા રસીકરણને વ્યાપક બનાવાયું છે. સંસ્થા દ્વારા દ્વારા તા.૨૬ માર્ચ-૨૦૨૧ થી શરૂ થયેલા આ અભિયાનમાં મોટા વરાછા ઝોનના સેનેટરી ઇન્પેક્ટરશ્રી ભટ્ટ, આસિ. અને ડે. કમિશનરશ્રીના સહયોગથી ફાઉન્ડેશનની હેલ્થ કમિટીના દિવ્યેશ શિરોયા, કેતન કળથીયા, શુભમ અમુલખ નાવડીયા અને રાષ્ટ્રસેવકોની ટીમે વિવિધ સંસ્થાઓ અને કંપનીઓનાં સમન્વયથી રસીકરણની કવાયત પૂરજોશમાં ચાલી રહી છે.