સુરત

ચેમ્બર દ્વારા બે દિવસીય ‘એથિકલ હેકીંગ’નો વર્કશોપ, સાયબર સુધારણાની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું

બે દિવસીય વર્કશોપમાં પાર્ટીસિપેટ્‌સને એથીકલ હેકીંગની સિલેકટેડ રીતો વિશે ડેમોન્સ્ટ્રેશન સાથે માહિતી અપાઇ, સાથે જ સાયબર ક્રાઇમ, સાયબર સિકયુરિટી ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ, ગવર્નન્સ અને સાયબર લો વિશે સમજણ આપવામાં આવી

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ર૧ અને રર જાન્યુઆરી, ર૦રરના રોજ સવારે ૧૧:૦૦ થી સાંજે પઃ૦૦ વાગ્યા દરમ્યાન સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘એથિકલ હેકીંગ’વિષય ઉપર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે સર્ટબાર સોલ્યુશન્સ પ્રા.લિ.ના પ્રોજેકટ મેનેજર નિશાંત વસાવા તથા પેન્ટેસ્ટર સુકેશ ગૌડ અને ગ્રાહમ ગોહિલ તેમજ એડવોકેટ સ્નેહલ વકીલના, ધવલ સોની અને નિરવ ગોટી દ્વારા સાયબર ક્રાઇમ, સાયબર સિકયુરિટી ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ, ગવર્નન્સ, સાયબર લો વિશે તથા સાયબર સુધારણાની વિવિધ પદ્ધતિઓ અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, અનઅધિકૃત હેકીંગને રોકવાના પ્રયાસરૂપે જે હેકીંગ થાય છે અને જેના થકી સિસ્ટમમાં રહેલી ખામીને દૂર કરી સિસ્ટમને સુરક્ષિત કરવામાં આવે છે તેને એથિકલ હેકીંગ કહેવામાં આવે છે. હાલમાં જ ભારતના સંસદમાં રજૂ કરાયેલા સરકારી ડેટા અનુસાર, વર્ષ ર૦ર૦માં સાયબર હુમલાના લગભગ ૧.૧૬ મિલિયન કેસ નોંધાયા હતા, જે વર્ષ ર૦૧૯થી લગભગ ત્રણ ગણા અને વર્ષ ર૦૧૬ની સરખામણીમાં ર૦ ગણા વધારે છે. સરેરાશ, વર્ષ દરમિયાન દરરોજ ૩,૧૩૭ સાયબર સુરક્ષા સંબંધિત મુદ્દાઓ નોંધાયા હતા.

ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા અપાયેલી માહિતી મુજબ, વર્ષ ર૦૧૯ અને ર૦ર૦ દરમિયાન અનુક્રમે ૩,૯૪,૪૯૯ અને ૧૧,પ૮,ર૦૮ સાયબર સિકયુરિટી સંબંધિત ઇશ્યુ જોવા મળ્યા છે. હેકર્સની વિનાશક અસરને દૂર કરવા માટે આપણી પાસે ડિજિટલ સુરક્ષા હોવી જરૂરી છે. એથિકલ હેકર્સ કોઇપણ ડિજિટલ પ્લેટફોર્મની નબળાઈને નિષ્ક્રિય બનાવવા માટે સિસ્ટમનો ઉપયોગ કરે છે.

વકતા નિશાંત વસાવા તથા તેમની ટીમના સુકેશ ગૌડ અને ગ્રાહમ ગોહિલે જણાવ્યું હતું કે, હેકીંગમાં ઘણી બધી રીતો હોય છે. આથી તેમણે સિલેકટેડ આઠ રીતો જેવી કે બ્રોકન ઓથેન્ટીકેશન, સેશન મેનેજમેન્ટ, ક્રોસ સાઇટ રિકવેસ્ટ ફ્રોઝરી, ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટીંગ, સ્ટ્રકચર્ડ કવેરી લેન્ગ્વેજ, ઇન્સીકયોર ડાયરેકટ ઓબ્જેકટ રેફરન્સ, ઓપરેટીંગ સિસ્ટમ કમાન્ડ ઇન્જેકશન, ફાઇલ ઇન્કલુઝન (રિમોટ ફાઇલ ઇન્કલુઝન અને લોકલ ફાઇલ ઇન્કલુઝન) વિશે ડેમોન્સ્ટ્રેશન થકી માહિતી આપી હતી.

એડવોકેટ સ્નેહલ વકીલનાએ જણાવ્યું હતું કે, એથિકલ હેકીંગ સિસ્ટમમાં રહીને કરવામાં આવે છે, જેનો ઇરાદો સારો હોય છે. તેમણે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન અને સાયબર લો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ ઇન્ડીયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની જાણકારી આપી કેસ સ્ટડી વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.

ધવલ સોનીએ સાયબર સિકયુરિટી ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કામ વગરની એપ ડાઉન નહીં કરવી જોઇએ અને કામ વગરનો ઇ–મેઇલ ઓપન કર્યા બાદ પણ કાળજી રાખવી જોઇએ. અધઅધિકૃત રીતે હેકર્સ એપની મદદથી કોઇપણ વ્યકિતના કોમ્પ્યુટર, લેપટોપ તથા મોબાઇલ પરથી જે તે વ્યકિતનો ફોટો કઇ રીતે લઇ શકે છે ? તેનું ડેમોન્સ્ટ્રેશન તેમણે વર્કશોપમાં કરી બતાવ્યું હતું.

ચેમ્બરની સાયબર સિકયુરિટી કમિટીના ચેરમેન નિરવ ગોટીએ ગવર્નન્સ પોલિસી અને પ્રોસેસ વિશેની સમજણ આપી હતી. આ વર્કશોપમાં પાર્ટીસિપેટ્‌સ દ્વારા વેબ એપ્લીકેશન માટેના નવા અભિગમની પ્રશંસા કરાઇ હતી.

ચેમ્બરના ગૃપ ચેરમેન બશીર મન્સુરીએ વર્કશોપ દરમ્યાન પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. બે દિવસીય વર્કશોપમાં જોડાયેલા પાર્ટીસિપેટ્‌સને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની વર્કશોપનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button