સુરત

“આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન”નો ભવ્ય પ્રારંભ

“આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન”નો ભવ્ય પ્રારંભ, ખરીદી કરવાની બહેનોને સુવર્ણ તક.

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને સમસ્ત પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસીએશન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર ભવન), લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અને ઉમિયાધામ– વરાછા, સુરતના સહયોગથી તા. ૩ જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન બપોરે ૧રઃ૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધીના સમયગાળા દરમ્યાન કતારગામ સ્થિત આંબા તલાવડી રોડ, અંકુર સ્કૂલની સામે આવેલા સમસ્ત પાટીદાર સમાજ વાડી ખાતે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’નું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ સુરતના સાંસદ દર્શના જરદોશના હસ્તે તેમજ સુરત – કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયાની ઉપસ્થિતિમાં એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરી આ એકઝીબીશન જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ એકઝીબીશનમાં મહિલા સાહસિકોને ૧પ૧ સ્ટોલ વિના મૂલ્યે ફાળવવામાં આવ્યા છે. જ્યાંથી ખરીદી કરવા માટે સુરત શહેરની બહેનોને સુવર્ણ તક મળી રહેશે.

ઉદ્‌ઘાટક સાંસદ દર્શના જરદોશે જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રને અને ખાસ કરીને સુરતના અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટેના ચેમ્બરના પ્રયાસને આ તકે હું બિરદાવું છું. કોવિડ– ૧૯ના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં ઘણી મુશ્કેલીઓ વધી છે તેવા સંજોગોમાં પુરુષોની સાથે સાથે હવે મહિલાઓ પણ પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે આગળ આવી રહી છે તે પોતે પોતાનામાં અગત્યની ઘટના છે. ચેમ્બરની લેડીઝ વીંગને અભિનંદન આપતા તેમણે જણાવ્યું હતું કે, બહેનોને આત્મનિર્ભર કરવા માટે જે રીતે એક પછી એક કાર્યક્રમોનું આયોજન ચેમ્બર દ્વારા કરવામાં આવી રહયું છે તેમાં સમાજનું સર્વાગિક હિત જોવાઇ રહયું છે.

અતિથિ વિશેષ પદેથી ધારાસભ્ય વિનોદ મોરડીયાએ કહયું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ઝૂંબેશને આગળ વધારવા માટે આ એકઝીબીશન અગત્યનો ભાગ ભજવશે. મહિલા સાહસિકોએ જે રીતે ઉત્સાહ દાખવ્યો છે તેનાથી બમણો ઉત્સાહ જો આ વિસ્તારની બહેનો બતાવશે તો મહેનત સાર્થક
થયેલી ગણાશે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે મુશ્કેલીનો સામનો કરનાર મહિલા સાહસિકો ફરીથી પગભર થઇ શકે અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે તે હેતુથી ચેમ્બર દ્વારા બીજી વખત આવા એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ પણ ચેમ્બરે દિવાળી ટાણે મહિલા સાહસિકોને વિના મૂલ્યે સ્ટોલ ફાળવી તેઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયાસ કર્યો હતો. મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે તેમણે શહેરની બહેનોને આ એકઝીબીશનની મુલાકાત લઇ ખરીદી કરવા માટે અનુરોધ કર્યો હતો.

સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેટાએ કહયું હતું કે, અમારો ચેમ્બર સાથેનો આ બીજો કાર્યક્રમ છે. આવા કાર્યક્રમોથી બહેનોનો પોતાનો આત્મ વિશ્વાસ વધે છે અને તેથી તેઓને જીવનમાં કંઇક વધુ કરવાની, કંઇક નવું કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે.

પદ્‌મશ્રી મથુર સવાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સમસ્ત પાટીદાર સમાજે સામાજિક સુધારા માટે ખૂબ કાર્ય કર્યું છે. પરંતુ આજનું આ એકઝીબીશન એક નવા જ પ્રકારની જાગૃતિ સમાજમાં લાવશે. કોરોનાને કારણે લોકોના જીવનના સમીકરણો બદલાઇ ગયા છે. એવા સમયે જે ખંતથી બહેનોએ પોતાને આત્મનિર્ભર બનાવવા માટે કોશિષ કરી છે એને હું બિરદાવું છું.

વરાછા કો–ઓપરેટીવ બેંકના ચેરમેન કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સમાજે આ આખો હોલ સામાજિક પ્રવૃત્તિ માટે બનાવ્યો છે અને તેનો યથોચિત ઉપયોગ હંમેશા થતો આવ્યો છે. પરંતુ આજના આ એકઝીબીશનને કારણે આ હોલનો ઉપયોગ તેની ચરમસીમાએ છે તેમ કહી શકાય. તેમણે વરાછા કો–ઓપરેટીવ બેંકના ચેરમેન તરીકે જાહેરાત કરતા જણાવ્યું હતું કે મહિલાઓને રૂપિયા ત્રણ લાખ સુધીની લોન એક ટકો ઓછા વ્યાજના દરે આપવામાં આવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. જ્યારે ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન પૂનમ દેસાઇએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ઉદ્‌ઘાટન સમારોહમાં ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી, ચેમ્બરના માનદ્‌ ખજાનચી મનીષ કાપડીયા, લેડીઝ વીંગના કો–ચેરપર્સન રમા નાવડીયા, વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલા તથા સભ્યો અલ્પા મદ્રાસી અને સ્વાતિ જાની તથા ગૃપ ચેરમેન હિમાંશુ બોડાવાલા, બિજલ જરીવાલા, જયંતિ સાવલીયા અને કમલેશ ગજેરા તથા સમસ્ત પાટીદાર સમાજના ઉપપ્રમુખ કાળુભાઇ ભીમનાથ, સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા ઉપસ્થિત રહયા હતા.

એકઝીબીશનમાં બહેનો ઓકસીડાઇઝ્‌ડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્‌સ, એમ્બ્રોઇડરી મટીરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટીરિયલ્સ, ફેન્સી બ્લાઉસીસ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેક, કપ કેક), લેમ્પ એન્ડ કેન્ડલ્સ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્‌સ, મહેંદી, કવીલિંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી અને કોટી વિગેરે વસ્તુઓની ખરીદી કરી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button