શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવ ઉપક્રમે ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાને ધર્મજીવન અમૃત કુંભ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
![Nilesh Mandlewala founder and president of Donate Life was honored with the Dharmajivan Amrit Kumbh Award at the Amrit Mahotsav initiative of Sri Swaminarayan Gurukul Rajkot Sansthan](https://gujarati.rdtimes.in/wp-content/uploads/2022/12/Nilesh-Mandlewala-founder-and-president-of-Donate-Life-was-honored-with-the-Dharmajivan-Amrit-Kumbh-Award-at-the-Amrit-Mahotsav-initiative-of-Sri-Swaminarayan-Gurukul-Rajkot-Sansthan.jpg)
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવ ઉપક્રમે ૨૨ ડિસેમ્બર થી ૨૬ ડિસેમ્બર દરમ્યાન રાજકોટમાં યોજાયેલ અમૃત મહોત્સવમાં રાષ્ટ્રનિર્માણમાં અનેરું યોગદાન આપનાર સમગ્ર દેશ માંથી ૭૫ વ્યક્તિઓને ધર્મજીવન અમૃત કુંભ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનાર, ગુજરાતમાં ૧૭ વર્ષ પહેલા અંગદાનની પ્રવૃત્તિનું બીજ વાવનાર, અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા, સુરત અને દક્ષીણ ગુજરાતમાંથી ૧૦૫૫ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવીને ૯૬૮ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી અપાવનાર ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાને માંડલેવાલાને પ.પૂ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ થી પ.પૂ. મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી અને પ.પૂ. સદ્દગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના વરદ હસ્તે ધર્મજીવન અમૃત કુંભ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ધર્મજીવન અમૃત કુંભ પુરસ્કાર માટે એવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે કે જે વ્યક્તિ આ વસુધૈવ કુંટુંબકમ્ માં હદયના નિષ્કામભાવથી માનવતાની સેવા કરી રહ્યો હોય ત્યારે તે વ્યક્તિની સેવાની સુગંધ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહે, તે વ્યક્તિની માનવતાની સેવાનું મલ્ટીપ્લિકેશન થાય, તે વ્યક્તિ અન્યને માટે વિશેષ પ્રેરણાના સ્ત્રોત બની રહે, તે વ્યક્તિ કે તેમની સંસ્થા, તેમની સંસ્થાના સંસ્થાપક, પ્રવર્તક કે કાર્યકર્તાઓ તે વ્યક્તિનું માનવતાની સેવારૂપી દિવ્યકાર્ય અને તેમના દિવ્યકાર્યના પ્રત્યેક લાભાર્થીઓ અમૃતત્વને પ્રાપ્ત કરે, તે વ્યક્તિની માનવતાની મિસાલ કાયમ બની રહે એવી શુભભાવનાઓને સાકાર કરવા માટે રાષ્ટ્રનિર્માણમાં અનેરું યોગદાન આપનાર વ્યક્તિને ધર્મજીવન અમૃત કુંભ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે નિલેશભાઈ અને તેમની સંસ્થા ડોનેટ લાઈફ છેલ્લા ૧૭ વર્ષથી સમાજમાં ૨૪*૭=૩૬૫ દિવસ સ્કૂલો, કોલેજો, વિવિધ સંસ્થાઓ, યુનિવર્સિટી, સ્મશાનભૂમિ જેવા સ્થળોએ અંગદાનની જનજાગૃતિ માટેના સેમિનાર, ટ્રાફિક સિગ્નલ્સ, સ્ટ્રીટ પ્લે, વોકાથોન, પતંગોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને સમાજમાં અંગદાન-જીવનદાનનો સંદેશો લગાતાર ફેલાવીને લોકોને અંગદાનનું મહત્વ સમજાવી રહ્યા છે. તેના પરિણામે સમગ્ર રાજ્ય અને દેશમાં ધીમે ધીમે અંગદાનનુ પ્રમાણ વધી રહ્યું છે.
તદ્દઉપરાંત તેમની સંસ્થા ડોનેટ લાઈફ સોશ્યલ મીડિયાના માધ્યમથી સાડા પાંચ કરોડથી વધુ લોકોમાં રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીયસ્તરે અંગદાનની જાગૃતિ લાવી ચૂક્યા છે. એમની સંસ્થા ‘ડોનેટ લાઈફ’ ભારતભરમાં અંગદાનના ક્ષેત્રમાં નોંધનીય કાર્ય કરી રહી છે.