બિઝનેસસુરત

SGCCI ના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘આશાએ ઓફ ર૦ર૧’વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા પીપલોદ સ્થિત રૂપલ હોસ્પિટલ ખાતે ‘સેકન્ડ જનરેશન માટે બિઝનેસમાં સફળતા – એના ફાયદા અને પડકારો’ તથા ‘આશાએ ઓફ ર૦ર૧’વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇવીએફ નિષ્ણાંત અને ગાયનેકોલોજીસ્ટ ડો. રૂપલ શાહ અને ડો. તૃપ્તી પટેલે ઉદ્યોગ સાહસિક મહિલાઓને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ડો. રૂપલ શાહે જણાવ્યું હતું કે, ફેમિલી બિઝનેસમાં ઝંપલાવનાર બીજી પેઢીમાંથી ફક્ત ૩૦ ટકા જ લોકો સફળતા પ્રાપ્ત કરી શકે છે. બીજી પેઢીમાં સફળ અને નિષ્ફળ ગયેલા અનેક વાસ્તવિક દાખલાઓ આપી તેમણે પોતાના જીવનના અનુભવો પણ રજૂ કર્યા હતા. ડો. માલતી શાહના પુત્રી હોવાથી તેઓ પોતે પણ ફેમિલી બિઝનેસની બીજી પેઢી હોઇ તેઓને શું ફાયદા થયા? અને પહેલી પેઢીથી વધારે સફળ બનવા માટે તેઓને કયા – કયા પડકારોનો સામનો કરવો પડયો? તે અંગે તેમણે મહિલા ઉદ્યોગ સાહસિકો સમક્ષ વિસ્તૃત ચર્ચા કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફેમિલી બિઝનેસમાં સફળ થવા માટે બીજી પેઢીને ઘણા ફાયદા પણ થાય છે. જેવા કે તેમની પાસે બહુ જ સબળ ઔદ્યોગિક વારસો, લોકોનો વિશ્વાસ અને આગલી પેઢીનો આર્થિક અને માનસિક આધાર તેમજ બિઝનેસ અંગેની સચોટ જાણકારી અને સૌથી મહત્વની બાબત કે વિશાળ અનુભવ હોય છે. તેમ છતાં બીજી પેઢીને પોતાની જાતને સાબિત કરવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આગલી પેઢી પાસેથી વ્યાપારના સંચાલનની સરળતાથી જવાબદારીઓ મેળવવી એ ખૂબ જ મોટો પડકાર હોય છે.

SGCCI's Women Entrepreneur Cell organizes interactive session on 'Ashanye of 2021'

તદુપરાંત બીજી પેઢી ઘણી વખત પોતાના નિર્ણયો વ્યક્તિગત રીતે લઈ શકતી નથી. સૌથી મોટો પડકાર તેઓને આગલી પેઢીના તેમના જ બિઝનેસમાં વધુ સફળ માતા કે પિતાની સાથેની સતત સરખામણીનો સામનો કરવાનો હોય છે. આ ઉપરાંત પોતાના જ બિઝનેસના અન્ય વ્યાવસાયિકોની ઈર્ષ્યાનો પણ ભોગ બનવું પડતું હોય છે. આ બધા પડકારો પછી પણ વ્યવસાય અને સમાજમાં કેવી રીતે સફળ થઇ પોતાની આગવી ઓળખ ઉભી કરવી? તે અંગે તેમણે મહત્વની સમજણ આપી હતી.

ડો. તૃપ્તી પટેલે ‘આશાએ ઓફ ર૦ર૧’વિષય ઉપર વકતવ્ય રજૂ કર્યું હતું. તેમણે કોવિડ– ૧૯ને કારણે લોકડાઉનમાં ઇન્ડસ્ટ્રીને જે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો તે અંગે ચર્ચા કરી હતી. લોકડાઉનની પરિસ્થિતિ એવી હતી કે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો એવામાં હવે વર્ષ ર૦ર૧માં મહિલા ઉદ્યોગ સાહસિકો બિઝનેસની ખરાબ પરિસ્થિતિમાં હકારાત્મક વલણ અપનાવી બિઝનેસને ફરીથી કેવી રીતે ડેવલપ કરી શકે? તે અંગે તેમણે વિસ્તૃત ચર્ચા કરી સમજણ આપી હતી.

આ ઇન્ટરેકટીવ સેશનમાં ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે સમગ્ર સેશનનું સંચાલન વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ કર્યું હતું. સેલના સભ્ય સંગિતા ચોકસીએ ડો. રૂપલ શાહ અને પ્રિયા સોમાણીએ ડો. તૃપ્તી પટેલનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. અંતે કૃતિકા શાહે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button